સાસરીયા પક્ષના ત્રાસ થી લગ્નના છ માસ બાદ જ પરિણીતાએ દવા પી જીવન ટુંકાવ્યું.
હળવદના મિયાણી ગામે સાસરિયાના ત્રાસથી પરિણીતાએ લગ્નના છ જ મહિના બાદ ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી વિગતો મુજબ હળવદના મિયાણી ગામે રહેતા કાજલબેન કલ્પેશભાઈ સુરેલા નામના પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. બનાવને પગલે મૃતક પરિણીતાના માતા રાજુબેન જાદવજીભાઈ જીંજુવાડીયાએ ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી કાજલબેનના લગ્ન તા.9/12/2022ના રોજ કરેલા હતા. તેમના સાસુ રમીલાબેન સુરેલા, સસરા ત્રિભોવનભાઈ સુરેલા કામકાજ બાબતે મેણા ટોણા આપી તેમના પતિ કલ્પેશભાઈ સુરેલાની કાન ભંભેરણી કરી માનસિક અને શારિરીક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત કલ્પેશભાઈના આડાસબંધ હોય તેણીને મારકૂટ કરી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી મારકૂટ કરી હતી.પોલીસે આ ફરિયાદને પગલે મૃતક પરિણીતાના પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





