રાજકોટ: ભારતીય વન-નીતિ મુજબ કુલ જમીનના ૩૩% વિસ્તારમાં વૃક્ષો હોવા જોઈએ. પરંતુ ગુજરાતમાં કુલ વિસ્તારના ૧૦% જ જંગલો છે. જંગલો વધારવા માટે સરકાર પાસે હવે જમીન નથી. પરંતુ ૯૦% લોકો જ્યાં રહે છે, ત્યાં લોકો પોતાની રીતે વૃક્ષો વાવતા થાય તે ખૂબ જ જરૂરી છે.

ત્યારે નવરંગ નેચર ક્લબ રાજકોટ પ્રમુખ તથા નિવૃત રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.ડી.બાલાએ વિશ્વ ધરતી દિવસ નિમિત્તે રોપા-વિતરણનો સંકલ્પ લીધો છે. તેમણે 2005માં હિંગોળગઢ અભયારણ્યમાં સર્વિસ દરમ્યાન હિંગોળગઢના આજુબાજુના ૧૦ ગામોમાં વિદ્યાથીઓને વિનામૂલ્યે રોપા આપી એક વિદ્યાથી એક વૃક્ષ વાવે તેવું આયોજન કરેલ હતું. ત્યારબાદ ૨૦૧૫ થી ૧૦૦ ગામમાં, ગામ દીઠ ૧૦૦૦ રોપા ચોમાસાની ઋતુમાં વિનામૂલ્યે પોતાના ખર્ચે વિતરણ કરવાનું શરૂ કર્યું. ત્યારે વિશ્વધરતી દિવસે નિમિત્તે વી.ડી.બાલાએ આવતા ચોમાસામાં (૨૦૨૧) ૨૦૦ ગામમાં, ગામ દીઠ ૧૦૦૦ રોપા વિનામુલ્યે પહોંચાડવાની નેમ લીધી છે. તેમજ આ કાર્યમાં સાથ-સહકાર આપવા જણાવ્યું હતું.

આ તકે વી.ડી.બાલા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગામડે એક રોપો પહોંચાડવાનો ખર્ચ ૧૦ રૂપિયા આવે છે. આ રોપાઓ ફળિયામાં કે પોતાની વાડીમાં લોકો વાવે છે. એટલે કે માલિકીની જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે. એક વ્યક્તિ ઓછામાં ઓછો એક રોપો વાવીને ઉછેરે તે સૌથી સારી બાબત છે. તેમ હું દ્રઢ પણે માનું છું અને તે પ્રકારે આયોજન કરું છું. ચોમાસામાં સૌરાષ્ટ્રના ૫૦ તાલુકાઓ અને જિલ્લા મથકે ૨૦૧૩ થી હું કલમી રોપાઓનું રાહતદરે વિતરણ કરું છું, જેમાં આંબા, ચીકુ, બિજોરાં, લીંબુ, જામફળ, સિંગાપુર-ચેરી અને નાળિયેરી મુખ્ય છે. ફળાઉ રોપા રાહત દરે વિતરણ મારા તરફ થી હોય છે (મેં મારા પુત્રના લગ્ન સાદાઈથી કરી, પૈસા બચાવીને તે આ કાર્યમાં વાપરું છું).

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચોમાસામાં તાલુકા મથકે રાહતદરે રોપા વિતરણ કરવા જવાનું હોય, રોપા પહોંચાડવા વાહનભાડા માટે આર્થિક મદદની જરૂર છે. વૃક્ષ વાવેતરના આ મહા યજ્ઞમાં વધુમાં વધુ લોકો આર્થિક સહયોગ આપે તે ખૂબ જરૂરી છે. આપનો આર્થિક સહયોગ નવરંગ નેચર નિધિ બેન્ક ખાતા નં.૭૨૬૩૦ ૧૦૦૦૦ ૮૭૪૯ માં જમા કરાવી શકો છો.
