ટંકારા તાલુકામાં આરોગ્ય સુવિધાના નામે સાવ મીંડું છે. ટંકારા પંથકમાં આશરે એક લાખની વસ્તી વચ્ચે એક જ આરોગ્ય કેન્દ્ર છે તેમાં પણ વર્ષોથી એમડી ડોકટર ન હોવાથી લોકોને પરેશાનીનો કોઈ પાર નથી. આ બાબતે વિસ્તારવાસીઓ રજુઆત કરીને થાક્યા છતાં જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ આ દિશામાં કાર્યવાહી ન કરતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
ટંકારા તાલુકામાં આરોગ્ય સુવિધાનો અભાવ હોવાથી લોકો મોંઘા ભાડા ખર્ચી અને તબીબી સેવા માટે મોરબી સહિતના સ્થળોએ ચોર્યાસીનો ફેરો ફરવા મજબૂર બન્યા છે. કઠણાઈ તો એ વાતની છે કે આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલ એમ ડીની જગ્યા ભરવા માટે લોકો ૨૦૦૬થી રજૂઆત કરી રહ્યા છે. છતાં નિંભર તંત્ર ધ્યાન ન આપતા લોકો લાચારી ભોગવી રહ્યા છે. આરોગ્ય સુવિધાના અભાવને પગલે ભૂતકાળમાં અમુક લોકોના જીવ ગયા હોવાના હાજરાહજૂર પુરાવાઓ સામે હોવાથી તંત્ર દ્વારા આવા કિસ્સાઓમાંથી શીખ મેળવી સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી લોકમાં માંગ ઉઠી છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતના રાજ્યપાલના ગુરૂનુ ગામ દર્દથી પીડાતુ હોય અને કોઈ તંત્ર ધ્યાન પણ ન આપે તો પછી બિજા તાલુકાની હાલત શું થતી હશે? ‘ટંકારામાં વરસ બદલ્યું છે વેદના નહિ’ના બળાપા સાથે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા અને ભાજપના સાંસદ અને ૨૭ વર્ષ ટંકારા બેઠકના ધારાસભ્ય મોહનભાઈ ઉપર લોકો રિતસરનો ફિટકાર વરસાવી રહ્યા છે.