ચમત્કાર થી ૧૦ કરોડ રૂપિયા આપવાની વાત કરી અમરેલીના ખેડૂતને લુટતા વાંકાનેર ના ઠગ ઝડપાયા.
અમરેલીના દામનગર તાબાના કાચરડી ગામના એક ખેડૂતને ચમત્કારથી 10 કરોડ અપાવી દેવાની લાલચમા નાખી રૂપિયા 22.78 લાખની છેતરપીંડી કર્યાના કેસમા અમરેલી એલસીબી પોલીસે વાંકાનેર પંથકના ત્રણ ઠગને ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી એલસીબીની ટીમે ચમત્કાર કરી 10 કરોડ આપવાની લાલચ આપી છેતરપીંડી કરવા અંગે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામના સલમાનનાથ ઉર્ફે ટપાનાથ બબાનાથ બામણીયા (ઉ.વ.29) જાનનાથ ઉર્ફે જીયાનાથ ભુરાનાથ પરમાર (ઉ.વ.38) અને તુફાનનાથ પોપટનાથ પરમાર (ઉ.વ.40)નામના શખ્સોની ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સોએ દામનગર તાબાના કાચરડી ગામના ખેડૂત ધીરૂભાઇ ડાયાભાઇ કુકડીયાને લાલચમા નાખી શીશામા ઉતાર્યા હતા.
ગત ઓકટોબર માસમા આ શખ્સો સાધુ વેશ ધારણ કરી કાચરડીના ખેડૂતની વાડી પાસે આવ્યા હતા અને ચમત્કારોની વાતો કરી ખેડૂતને ભેાળવ્યો હતો. આ ખેડૂતને એક પેટીમાથી રૂપિયા 10 કરોડની રોકડ રકમ નીકળશે તેમ કહી આ પેટીને 21 તોલા સોનાનો ધુપ આપવાના બહાને બે વખત મળી 22 લાખની વધુની રકમ પડાવી હતી જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસવડા હિમકર સિંઘની સુચનાથી એલસીબી પીઆઇ એ.એમ.પટેલ અને તેની ટીમે પગેરૂ દબાવી ત્રણેય શખ્સોને ઠેબી ડેમના પાળા પાસેથી ઝડપી લીધા હતા.
પોલીસે આ શખ્સો પાસેથી રૂપિયા 21.24 લાખની રોકડ રકમ, 52 હજારની સોનાની રૂદ્રાક્ષની માળા તથા 42 હજારની કિમતનો સોનાનો ચેઇન મળી 22.18 લાખનો મુદામાલ કબજે લીધો હતો.