કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં દેશના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં પ્રધાનમંત્રીએ ધોરણ-૧રની CBSE બોર્ડ પરીક્ષા રદ કરવા લીધેલા નિર્ણયનું સમર્થન કરતા ગુજરાત સરકારનો નિર્ણય
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો ધોરણ-૧રની પરીક્ષા રાજ્યમાં આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય
ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધોરણ-૧રની વાર્ષિક પરીક્ષા આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં ધોરણ-૧ર CBSE પરીક્ષાઓ આ વર્ષે નહિં યોજવાની ગઇકાલ મંગળવારે જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકારે પ્રધાનમંત્રીશ્રીના આ નિર્ણયના સમર્થનમાં ગુજરાતમાં પણ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧ર ની આ વર્ષે યોજાનારી પરીક્ષાઓ રદ કરવાનો એટલે કે નહિ યોજવાનો નિર્ણય કર્યો છે એમ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું કે, આ બોર્ડની પરીક્ષાઓ અંગેની હવે પછીની આગળની કાર્યવાહી ભારત સરકારની ગાઇડ લાઇન્સ-માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર કરશે શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, આગામી તા.૭મી જૂનથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઇન એજ્યુકેશનની પદ્ધતિ પ્રવર્તમાન કોરોના સ્થિતીને અનુલક્ષીને યથાવત રહેશે.